ભરૂચ શહેર તથા જિલ્લામાં રાત્રી દરમિયાનથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે વિવિધ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો.
અંકલેશ્વર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી, અને શહેર વિસ્તારના દીવા રોડ પરની સોસાયટીઓ, એશિયાડ નગર વિસ્તાર, ગાયત્રી મંદિર, નિરાંત નગર સહિતનો રહેણાંક વિસ્તાર વરસાદી પાણીથી પાણી-પાણી થઇ ગયો હતો. મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી, અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે GIDC વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલાખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે આમલાખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 ઘોડા પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો બીજી તરફ, પાણી ભરાવાના કારણે GIDC વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો. જેથી અનેક વાહનચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com