Geo Gujarat News

ભરૂચ: નબીપુરમાં સૂફી સંત પીર ખોજનદીસા બાવા નો સંદલ, સર્વધર્મ સમભાવનો અનોખો સંગમ

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવાના વાર્ષિક ઉર્ષની ઉજવણી ગુરુવાર, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી. આ નિમિત્તે સંદલ શરીફની રસમનું આયોજન થયું, જેમાં દરેક ધર્મના હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમ સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ સંદલ શરીફની પવિત્ર યાત્રા નબીપુરની દાવલશા સ્ટ્રીટથી શરૂ થઈ હતી. ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ યાત્રા દરગાહના આસ્તાના ઉપર પહોંચી, જ્યાં વિધિવત રીતે સંદલની રસમ અદા કરવામાં આવી.

આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશઇમામ, નાયબ પેશઇમામ, પાટણવાળા બાવા, અને શીનોરના ગાડીનાશીન સમસાદબાવા સહિત અનેક ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ ધર્મના ભાવિકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જે આ સંતના સંદેશને વધુ મજબૂત બનાવે છે. સંદલ શરીફની પૂર્ણાહુતિ બાદ, દરગાહના પ્રાંગણમાં મહેફિલે શમાં (કવ્વાલી) નો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સંતોના સંદેશ અને શાંતિનો મહિમા ગાતા કલાકારોએ પોતાની કળા રજૂ કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ધાર્મિક ઉજવણી પૂરતા સીમિત ન રહેતા, સમાજમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે. નબીપુરનો આ વાર્ષિક ઉર્ષ સાબિત કરે છે કે ધર્મ ભલે અલગ હોય, પરંતુ સૌનો પ્રેમ અને શ્રદ્ધા એક જ છે.

સલીમ કડુજી, નબીપુર

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *