ભરૂચ જિલ્લામાં આગામી રવિવારે, ૧૪ સપ્ટેમ્બરના રોજ, તલાટી વર્ગ-૩ની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે ભરૂચ અને અંકલેશ્વરમાં કુલ ૩૭ કેન્દ્રો પર ૧૦,૮૪૨ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત તમામ અધિકારીઓને તટસ્થતા સાથે પરીક્ષાનું સંચાલન કરવા સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો માટે તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરા, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ વોલ, લાઇટ, પંખા અને પીવાના પાણીની સુવિધાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, બાયોમેટ્રિક વેરિફિકેશન, આરોગ્ય સેવાઓ અને બસ સેવા માટે પણ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે ૨ થી ૫ વાગ્યાનો રહેશે, અને ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના બે કલાક પહેલા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. પરીક્ષાની સુરક્ષા અને વ્યવસ્થા માટે કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સહિત ૩૭ મંડળના પ્રતિનિધિઓ અને ૩૭ તકેદારી સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષા સામગ્રીના પરિવહન અને સુરક્ષા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બેઠકમાં આ તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગોના લાયઝનિંગ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com