Geo Gujarat News

ભરૂચ: બંધ મકાનને નિશાન બનાવતી તસ્કર ટોળકી, વૃદ્ધ દંપતી પુત્રના ઘરે ગયા ને પાછળથી હાથ ફેરો કરી ગયા

ભરૂચ શહેરના જી.એન.એફ.સી. ટાઉનશીપ વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિવૃત્ત જીવન જીવતા એક વૃદ્ધ દંપતી જ્યારે પોતાના પુત્રને મળવા વડોદરા ગયા હતા, ત્યારે તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી લાખોની મતા પર હાથ સાફ કર્યો હતો. ઘટનાની વિગત એવી છે કે, સોસાયટીમાં એકલા રહેતા અરવિંદભાઈ પટેલ અને તેમના પત્ની પાંચ દિવસ માટે વડોદરાના વાંસણા રોડ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે રોકાવા ગયા હતા. આ સમયગાળા દરમિયાન ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે દંપતી પરત ફર્યું અને મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશ્યું, ત્યારે ઘરની હાલત જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. અરવિંદભાઈની દીકરી અમદાવાદ ખાતે સ્થાયી થયેલી છે, જ્યારે તેઓ અહીં નિવૃત્ત જીવન વિતાવે છે. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બહારગામ જતી વખતે ઘરની સુરક્ષા અને પડોશીઓને જાણ કરવી કેટલી અનિવાર્ય છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.