ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરના ચાર રસ્તા નજીક આવેલ ચંદ્રકાન્ત એન્કલેવ નામના શોપિંગ સેન્ટરમાં આવેલ એક બિયારણ ખાતર અને દવાની દુકાનમાં કાઉન્ટર નીચેના ડ્રોઅરમાંથી રૂપિયા ૭૫૦૦૦ નું નોટોનું બંડલ ચોરાયું હોવાની ફરિયાદ રાજપારડી પોલીસમાં લખાવા પામી છે. આ અંગે મળતી વિગતો મુજબ અત્રેના ચંદ્રકાન્ત એન્કલેવમાં રાજપારડીના પુષ્પેન્દ્રસિંહ કેસરોલાની એગ્રો બિઝનેસના નામની બિયારણ ખાતર અને દવાની દુકાન આવેલી છે. થોડા દિવસ અગાઉ તેઓ રાજસ્થાન ગયા હતા, અને દુકાનનો વહિવટ દુકાનમાં નોકરી કરતી અમીષાબેન વસાવાને સોંપીને ગયા હતા. દરમિયાન ગત તા.૨૬ મી ડિસેમ્બરના રોજ અમીષાબેન દુકાને હતા તે દરમિયાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરનો જણાતો એક ઇસમ દુકાને આવ્યો હતો, અને દવા તથા તુવેર અને ઘઉંના બિયારણની રૂપિયા દસ હજાર જેટલી રકમની ખરીદી કરી સતારભાઇ રાજપારડીના નામનું બીલ બનાવાડ્યું હતું, અને જણાવ્યું હતું કે આ બીલની રકમ હું ગુગલ પે કરીને ચુકવુ છું. ત્યારબાદ તેણે જણાવેલ કે મેં જે ઘઉંનો ૪૦ કિલોનો કટ્ટો તમારી પાસેથી લીધો છે તેમાંથી તમે ૧૦ ૧૦ કિલોના ચાર અલગઅલગ ભાગ પાડી આપો. ત્યારે અમીષાબેને દુકાન માલિક પુષ્પેન્દ્રસિંહને મોબાઇલથી કોલ કરીને મોબાઇલનું સ્પીકર ચાલુ કરીને તે ઇસમ સાથે વાત કરાવતા તેણે પુષ્પેન્દ્રસિંહને કહેલ કે હું સતારભાઇનો દિકરો બોલું છું.અને ૪૦ કિલોનો ઘઉંનો કટ્ટો ૧૦ ૧૦ કિલોમાં જોઇએ છે. ત્યારે પુષ્પેન્દ્રસિંહે જણાવેલ કે અમે આ રીતે પેકિંગ તોડીને કોઇને આપતા નથી. અને તેમણે અમીષાબેનને પણ કહેલ કે આપણે આ મુજબ કોઇને આપતા નથી અને કોઇ આમ કહે તો ના પાડી દેજે. ત્યારબાદ દુકાને ટેમ્પો માલ ખાલી કરવા આવ્યો હતો અને તે દરમિયાન ગ્રાહક તરીકે આવેલ સદર ઇસમ દુકાન પાસેની લોબીમાં આંટા મારતો હતો.ટેમ્પો ગયા પછી ઘઉંની બેએક થેલી તુટેલી હતી તેની સિલાઇ કરવા અમીષાબેન દુકાનની અંદર ગયા હતા. ત્યારબાદ તેઓ કાઉન્ટર પર આવ્યા ત્યારે ગ્રાહક બનીને આવેલ ઇસમ ત્યાં હતો નહિ, અને તેણે લીધેલ સામાન પણ લઇ ગયેલ નહતો. તેવામાં અમીષાબેનની નજર કાઉન્ટરની નીચે આવેલ પૈસાના ડ્રોઅર ઉપર જતા ડ્રોઅર ખુલ્લું જણાયું હતું. જેથી તે ચેક કરતા ડ્રોઅરમાં ૭૫૦૦૦ રૂપિયાનું બંડલ હતું તે જણાયું નહતું. દુકાને આવેલ સદર ઇસમના ગયા પછી બીજી કોઇ વ્યક્તિ દુકાને આવી નહતી, જેથી દુકાને ખરીદી કરવાના બહાને આવેલ સદર ઇસમ નજર ચુકવીને દુકાનમાંના કાઉન્ટર નીચેના પૈસાના ડ્રોઅરમાંથી રૂપિયા ૭૫૦૦૦ નું નોટોનું બંડલ ચોરી ગયો હોવાના આક્ષેપ સાથે અમીષાબેન વસાવા રહે.રાજપારડીનાઑએ તા.૧૩ જાન્યુઆરીના રોજ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com