આમોદ તાલુકાના ભીમપુરા ગામે ૧૧ વર્ષીય બાળકને ઝેરી જાનવરે કરડી જવાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવાના બદલે ગામના ભાથુજી મંદિરે તાંત્રિક વિધિ કરવા લઈ જવાતા અને સમયસર સારવાર ન મળતા બાળકનું મોત થયું હોવાના બનાવમાં વાયરલ વિડીયો બાદ પોલીસે પોતે ફરિયાદી બની મૃતકના પિતા અને તેના કાકા (ભુવા) સામે ગુનો દાખલ કરી ઘરપકડ કરી છે.
બનવાની વિગત મુજબ બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રીએ આમોદ તાલુકાના ભીમપુરા ગામે ૧૧ વર્ષીય અરુણ કાંતિ રાઠોડને રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં બાથરૂમ કરવા જતા ઝેરી જીવ જંતુએ કરડી લેતા તેની તબિયત લથડી હતી અને તેને પગના ભાગે ઝેરી જીવજંતુએ કરડેલું હોય અને તેને સારવાર અર્થે લઈ જવાના બદલે તેના પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડ અને તેના ભાઈ કે જેઓ ભાથુજી મંદિરના ભુવા હોય અને તાંત્રિક વિધિથી ઝેર કઢાવવા સંજયભાઈ ચુનીલાલ રાઠોડ પાસે લઈ ગયા હતાં.અને બાળકની પર તાંત્રિક વિધિ કરી હતી. જેથી સમયસર સારવાર ન મળવાથી બાળક અરુણ રાઠોડનું મોત થયું હતું.
અને તેને હોસ્પીટલ લઈ જતા ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યો હતો.અને મૃતકના પિતાએ બાળકનું પી.એમ. ના કરાવી કશું કરાવવું નથી તેમ કહી મામલાને રફેદફે કરતા આખરે તાંત્રિક વિધિનો વિડીયો કે જેમાં બાળક જીવતો હોય અને તેને સમયસર સારવાર ન મળી હોય તેવું ફલિત થતા આખરે સમગ્ર ઘટનામાં પોલીસ પોતે ફરિયાદી બની મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના કાકા (ભુવા) સંજય રાઠોડ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જોકે હજુ પણ આમોદ પંથકમા અંધશ્રદ્ધાનું દુષણ દૂર થયું નથી. અને અંધશ્રદ્ધામાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. જો કે આમોદની ઘટનામાં પોલીસે જીણવટભરી તપાસ કરી આખરે બિનજામીન ગુનો દાખલ કર્યો હતો.
શું તાંત્રિક વિદ્યા કરવાથી માણસના શરીરમાંથી ઝેર ઉતરે?
વધતા જતાં શિક્ષણના વ્યાપ વચ્ચે હજુ પણ અંધશ્રદ્ધામાં માનવ જીવ જીવી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.જેમાં બાળકને ઝેરી જનાવર કરડી લેતા તેના શરીરમાં રહેલું ઝેર ઉતારવા તાંત્રિક એટલે કે મંદિરના ભુવા પાસે લઈ જઈ સમયનો બગાડ કરી અને ભૂવાથી ઝેર નહિ ઉતરતા અને લાંબા ગાળા સુધી બાળકને સારવાર ન મળતા તેનું મોત થઈ જતા આખરે મૃતદેહને દફન કરી દીધા બાદ પણ કબર માંથી મૃતદેહ બહાર કાઢી પેનલ પી.એમ. કરાવી કાર્યવાહી કરી હતી.
યાસીન દિવાન, આમોદ