જ્યાં પાણી શાંત હોય,ત્યાં જ ખતરો છુપાયેલો હોય છે આ કહેવત આમોદના એક મહેનતકશ યુવાન પર સાચી પડી છે.આમોદ નગરના વાવડી ફળિયામાં રહેતા અને માત્ર 22 વર્ષની ઉંમરે પોતાના પરિવારનો ભાર પોતાના ખભા પર ઉપાડીને 40થી વધુ બકરાંનું પાલન કરતા અશરફ હસન પટેલ માટે ગત રોજનો દિવસ જીવન-મરણની લડાઈ સમાન બન્યો.શમા હોટલ પાછળ આવેલી તલાવડીના કાંઠે તે પોતાના પ્રાણીઓને પાણી પીવડાવવા ગયો ત્યારે તેને ખબર નહોતી કે પાણીની અંદર એક ભયાનક શિકારી છુપાયેલો છે.પ્રાપ્ત વિગતો મુજબ,અશરફ પટેલ રોજની જેમ ગત રોજ સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના 40 બકરાં લઈને શમા હોટલ પાછળના ખેતરોમાં ચરાવવા ગયો હતો.બપોરે આશરે 2:30 વાગ્યે તરસ્યા બકરાંઓને પાણી પીવડાવવા માટે તે નજીકની તલાવડી પર લઈ ગયો.ઘેટાં-બકરાં પાણી પી રહ્યા હતા ત્યારે એક બકરીના નાના બચ્ચાને પાણી પીવડાવવા માટે અશરફ નીચો વળ્યો અને પોતાના જમણા હાથની હથેળીમાં પાણી લઈને બચ્ચાને પીવડાવવા લાગ્યો.એ જ ક્ષણે,શાંત પાણીમાં છુપાયેલા એક વિશાળ મગરે વીજળીની ગતિએ હુમલો કરીને અશરફના જમણા પંજાને પોતાના તીક્ષ્ણ દાંતમાં જકડી લીધો.હુમલો એટલો જોરદાર હતો કે અશરફને તલાવડીના ઊંડા ભાગ તરફ ખેંચવામાં આવ્યો.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ ગભરાઈ જાય,પરંતુ અશરફે હિંમત ન હારી.તેણે ડાબા હાથથી મગરની પીઠ અને પાછળના ભાગ પર પૂરી તાકાતથી પ્રહાર શરૂ કર્યા.આ ઘા બાદ મગરની પકડ થોડું ઢીલી પડી.તકનો લાભ લઈને અશરફે પોતાનો લોહીલુહાણ પંજો મગરના જડબામાંથી બહાર ખેંચ્યો અને કોઈ રીતે કિનારે આવી ગયો.પ્રત્યક્ષદર્શીઓ આ ઘટનાને ‘ફિલ્મી દ્રશ્ય જેવી’ ગણાવી રહ્યા છે.લોહીલુહાણ હાલતમાં અશરફને અસહ્ય પીડા થવા લાગી.મગરના દાંતના ઘા એટલા ઊંડા હતા કે તેના હાથમાંથી ભારે લોહી વહી રહ્યું હતું.તે દોડીને નજીકના કપાસના ખેતરમાં કામ કરતા મજૂર પાસે ગયો અને મોબાઈલ લઈ પોતાના ભાઈને ફોન કરીને સમગ્ર ઘટના જણાવી.ભાઈ તાત્કાલિક પહોંચ્યો અને તેને પહેલા આમોદ સરકારી દવાખાને ખસેડ્યો.ત્યાં પ્રાથમિક સારવાર અને બ્લીડિંગ કંટ્રોલ બાદ હાલત ગંભીર જણાતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.
શહેરી વિસ્તાર નજીક આવેલી આ તલાવડીમાં મગર હોવાની ઘટના સ્થાનિકોમાં ચિંતાનો વિષય બની છે.જાણ થતાં જ આમોદ વન વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અશરફ હસન પટેલ સાથે વાત કરતાં તેની આંખોમાં હજુ પણ એ ભયાનક ક્ષણનો ડર સ્પષ્ટ દેખાઈ આવે છે.આ બનાવથી વાવડી ફળિયા તેમજ શમા હોટલ પાછળના વિસ્તારમાં રહેતા પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ છે.સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ તાત્કાલિક મગરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડે, જેથી આવનારા સમયમાં કોઈ માનવી કે પ્રાણીનો ભોગ ન બને.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023