ભારતીય બંધારણના શિલ્પી અને કરોડો લોકોના આશાકિરણ ગણાતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે આજે આમોદ નગરમાં ભક્તિ, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર નગર જય ભીમના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં બાબા સાહેબના મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા. ઉજવણીનો પ્રારંભ સવારે ૯:૦૦ કલાકે આમોદ નગરના મુખ્ય વિસ્તારોમાં આવેલી ડૉ. બાબાસાહેબની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ વિધિ સાથે થયો હતો. દલિત સમાજના અગ્રણીઓ અને ભીમ સૈનિકોએ શિસ્તબદ્ધ રીતે એકત્ર થઈ બાબા સાહેબને વંદન કર્યા હતા.
આ દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર અમર રહો ના નારા લગાવતા આખું નગર ગુંજી ઉઠ્યું હતું. આ વર્ષની ઉજવણીમાં વિશેષ બાબત એ રહી કે રાજકીય મતભેદો બાજુ પર મૂકીને તમામ પક્ષો બાબા સાહેબના સન્માનમાં એકઠા થયા હતા. સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો, પદાધિકારીઓ અને સેંકડો કાર્યકરોએ પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. નેતાઓએ જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા ના સૂત્રોચ્ચાર સાથે બાબા સાહેબના સામાજિક ન્યાયના વિચારને બિરદાવ્યો હતો.
માત્ર દલિત સમાજ જ નહીં, પરંતુ નગરના તમામ વર્ગના લોકોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો, જે આમોદમાં પ્રવર્તતી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, બાબા સાહેબ માત્ર એક સમાજના નહીં પણ સમગ્ર રાષ્ટ્રના ઘડવૈયા હતા. આ પ્રસંગે આમોદ નગરના માર્ગો પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દલિત અગ્રણીઓ અને યુવાનોમાં ભારે થનગનાટ હતો. ફૂલહાર અને ગુલાલથી બાબા સાહેબની પ્રતિમાની આસપાસનું વાતાવરણ કેસરી અને વાદળી રંગે રંગાઈ ગયું હોય તેવું જણાતું હતું. મોડી સાંજ સુધી નગરમાં ઉત્સવ જેવો માહોલ રહ્યો હતો અને લોકોએ એકબીજાને ભીમ જયંતીની શુભકામનાઓ પાઠવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023