આમોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે આજે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના ચકલાદ-દાદાપોર માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના વરદહસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું. અંદાજે ૨૩૦ લાખના માતબર ખર્ચે તૈયાર થનારા આ રસ્તાના કારણે સ્થાનિક પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે. આ નવો માર્ગ બનવાથી વિસ્તારના નાગરિકોને વધુ સુગમ, સુરક્ષિત અને ઝડપી વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને અંતરિયાળ ગામડાઓ મુખ્ય માર્ગો સાથે આધુનિક રીતે જોડાશે.
આ માર્ગ માત્ર અવરજવર માટે જ નહીં, પરંતુ આર્થિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ખેતપેદાશોને બજાર સુધી પહોંચાડવામાં સમય અને નાણાંની બચત થશે. તેમજ શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે મુસાફરી વધુ સલામત અને ઝડપી બનશે. તદુપરાંત નોકરી-ધંધા અર્થે અવરજવર કરતા લોકોને ખરાબ રસ્તાની હાડમારીમાંથી કાયમી છુટકારો મળશે. આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણી આજે પૂર્ણ થઈ રહી છે. આ વિકાસલક્ષી કાર્ય માટે હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમણે છેવાડાના માનવીની સુખાકારી માટે આ ભંડોળ મંજૂર કર્યું છે. તેમ ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ જણાવ્યું હતુ.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રસ્તાના કામની મંજૂરી બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ આ તકે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અને વિકાસકાર્યોમાં સહભાગી થવા સૌને અપીલ કરી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023