ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ રેલવે, નબીપુર, પાલેજ તેમજ એ.બી.સી. ડિવિઝન સહિત કુલ પાંચ પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કુલ રૂ. 77 લાખ 56 હજારથી વધુ કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દારૂના જથ્થાના નાશની કામગીરી એસડીએમ તથા ડીવાયએસપી ડૉ. અનિલ સીસારાની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી. આ ઉપરાંત વિવિધ પોલીસ મથકોના પીએસઆઈ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096