Geo Gujarat News

વાગરા: વિલાયતની સીમમાં આવેલ તળાવમાં યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો..

વાગરા તાલુકાના વિલાયત ગામની સીમામાં આવેલા તળાવમાં એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, નવીનગરી-ભેરસમ વિસ્તારના રહેવાસી અને મજૂરી કામ કરતા દિનેશભાઈ નરસીભાઈ રાઠોડ ઉ.વ. ૩૮ જેઓ વિલાયત ગામની સીમામાં આવેલા તળાવ પાસે ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તેઓ તળાવનું પાણી પીવા માટે ગયા હતા, પરંતુ તે દરમિયાન તેમનો પગ લપસી જતાં તળાવમાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તથા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. બાદમાં તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ નોંધ મુજબ, તા. ૧૦/૦૬/૨૦૨૫ના સવારે લગભગ ૧૦ વાગ્યાથી તા. ૧૧/૦૬/૨૦૨૫ના સવારે ૮ વાગ્યા દરમિયાન કોઈક સમયે આ દુર્ઘટના બની હોવાનું નોંધાયું છે. વાગરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુઃખદ બનાવે મૃતકના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે તળાવો અને જળાશયો પાસે પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!