આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામીની સતત રજૂઆતો અને ભલામણોને પરિણામે રાજ્ય સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે આનંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદાલપુરા અને જંબુસર તાલુકાના કારેલી ગામ વચ્ચે મહી નદી પર વીયર (બેરેજ) બાંધકામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંદાજિત રૂ. 1,700 કરોડના ખર્ચે હાથ ધરાનારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં આધુનિક બેરેજ સાથે નવા પુલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મહી નદીમાં જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો મળશે.
સાથે જ નવા પુલના નિર્માણથી આનંદ અને જંબુસર વિસ્તાર વચ્ચેનો માર્ગવ્યવહાર વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે, જેના પરિણામે સ્થાનિક વેપાર, રોજગાર અને વિકાસને પણ નવી ગતિ મળશે. ધારાસભ્ય ડી. કે. સ્વામીએ જણાવ્યું હતું કે આ યોજના માટે રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા હવે પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ મોકળો બન્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યોજના સમગ્ર વિસ્તારના કૃષિ વિકાસ, જળ વ્યવસ્થાપન અને માળખાકીય સુવિધાઓને નવી દિશા આપશે તથા હજારો ખેડૂતો અને સ્થાનિક લોકોને લાંબા ગાળે લાભ પહોંચાડશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023