વાગરા તાલુકામાં આવેલી KP એનર્જી લિમિટેડની વિવિધ સાઇટ્સ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. એક પછી એક દુર્ઘટનાઓ બાદ હવે કંપનીના કોન્ટ્રાક્ટર ધ્રુવેટ કોર્પોરેશનના આશરે રૂપિયા 1.50 લાખના એલ્યુમિનિયમ કંડક્ટર વાયરની ચોરી સામે આવતા ભારે ચકચાર મચી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ ચોરીમાં હાલના સાઇટ એન્જિનિયર અને કંપનીના ભૂતપૂર્વ કર્મચારીનું નામ સામે આવતા આંતરિક સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ ફરિયાદ મુજબ, 25 જૂનથી 12 જુલાઈ દરમિયાન જણીયાદરા સ્ટોર, જણીયાદરા PSS તેમજ જણીયાદરા-ગોલાદરા અને જણીયાદરા-ત્રાંકલ ટ્રાન્સમિશન લાઇનમાંથી કુલ આશરે 3,800 મીટર એલ્યુમિનિયમ કંડક્ટર વાયર ચોરી કરવામાં આવ્યો હતો. આ ચોરીમાં સાઇટ એન્જિનિયર ભુષણ કર્માકર, પૂર્વ કર્મચારી શૈલેન્દ્ર ગોર અને પહાજ ગામના ફિરોજ દિવાન સંડોવાયેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, KP એનર્જીમાં થોડા સમય અગાઉ કર્મચારીનું વાહન નીચે કચડાઈ જવાથી મોત અને અન્ય સાઇટ પર કેબલમાં ફસાતા શ્રમિકનું કરુણ મૃત્યુ જેવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. હજી આ દુર્ઘટનાઓની ચર્ચા શમી નથી ત્યાં કંપનીમાંથી જ કિંમતી વાયરની ચોરી સામે આવતા KP એનર્જીની સુરક્ષા વ્યવસ્થા કેટલી ભેદ્ય છે? તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટર કંપનીના પ્રતિનિધિ ભાવસિંગ બાલુભાઈ ચૌહાણની ફરિયાદના આધારે વાગરા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com