આમોદ: જનસેવા અને રાજકીય જવાબદારીની સાથે માનવીય લાગણીનો સમન્વય સાધીને જંબુસર-આમોદ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ફરી એકવાર લોકપ્રતિનિધિ તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમોદ ખાતે અકાળે વીજકરંટ લાગવાની કમનસીબ ઘટનામાં જીવ ગુમાવનાર આશાસ્પદ યુવાન કાર્તિક મહેશભાઈ પટેલના દુઃખી પરિવારની મદદે આવી તેમણે સક્રિય પ્રયાસો હાથ ધર્યા હતા.
ધારાસભ્યશ્રીની વિષય આધારિત રજૂઆત અને સતત ફોલોઅપના પરિણામે રાજ્ય સરકાર દ્વારા મૃતકની માતા માટે ₹૪,૦૦,૦૦૦ ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી હતી. આ દુઃખદ ઘટના બાદ આર્થિક અને માનસિક રીતે ભાંગી પડેલા પરિવાર માટે આ સહાય એક મોટો આધાર બનીને સામે આવી છે.
દુઃખની આ ઘડીમાં માત્ર સરકારી પ્રક્રિયા પૂરી કરીને અટકી જવાને બદલે ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વયં કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે સ્વજન ગુમાવનારા પરિવારજનોને દિલાસો આપ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણના ભજન કીર્તન થકી પરિવારને આત્મબળ તેમજ આધ્યાત્મિક હિંમત પૂરી પાડી હતી.
ત્યારબાદ મૃતક યુવકના બંને બાળકોના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે તેમના નામે જમા કરાવવામાં આવેલી સરકારી સહાયની બેંક પાસબુક પરિવારજનોને અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જંબુસર અને આમોદ પંથકમાં સર્જાતી આકસ્મિક આપદાઓ કે દુર્ઘટનાઓ વેળાએ ધારાસભ્યશ્રીએ અંગત રસ લઈને પીડિતોને લાખો રૂપિયાની સરકારી મદદ અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે, જેને લઈને સ્થાનિક પ્રજાજનોએ તેમના પ્રત્યે ઊંડા આદર અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023