ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં રખડતા પશુઓની ગંભીર સમસ્યા દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને છેલ્લા ત્રણ દિવસમાં પશુઓના મોતની હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવતા વહીવટી તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ આજે આમોદ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને ખુલ્લા ન છોડીને પોતાના વાડામાં બાંધી રાખવા માટે રિક્ષા મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરીને કડક ચેતવણીઓ આપવામાં આવી હતી, તો બીજી તરફ તે જ દિવસે સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગ પર કોઈ બેફામ અજાણ્યા વાહનચાલકે એક માસૂમ વાછરડાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા તંગદિલી ફેલાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આમોદ નગરપાલિકાની ટીમ જેસીબી (JCB) સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃત વાછરડાને રસ્તા પરથી હટાવીને મહામહેનતે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી.
અવારનવાર બનતી આવી ગંભીર દુર્ઘટનાઓ અને મૂંગા પશુઓના થઈ રહેલા અકાળ મરણોના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, અને હવે માત્ર કાગળ પરની ચેતવણીઓ આપવાને બદલે આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર, સઘન અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમુખેથી ઉગ્ર માંગ ઉઠી રહી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023