આમોદ શહેરમાં થયેલી પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને રાજકીય આક્ષેપો સામે આવ્યા છે. આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું છે કે વોર્ડ નં. ૬ના શાંતિનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી ન થતાં સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
શાંતિનગરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે. અગાઉ દર વર્ષે વરસાદ પહેલાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાસનું ખોદકામ કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે કોંગ્રેસ સંચાલિત નગરપાલિકા દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી નથી.
મિથુન મોદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પાણી ભરાવાના કારણે ડીજીવીસીએલ દ્વારા સ્થાપિત વીજ ડી.પી. તેમજ નગરપાલિકાના મીઠા પાણીના વાલ્વ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે આગામી સમયમાં વીજ પુરવઠા અને પાણી વિતરણને લઈને મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ શહેર પ્રમુખે નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી સ્થળ પર જરૂરી કાસ ખોદકામ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી સ્થાનિક રહેવાસીઓને રાહત મળી શકે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023