ભરૂચ શહેરના મુખ્ય પરિવહન કેન્દ્ર સમાન સીટી સેન્ટર અને ભોલાવ બસ સ્ટેશન પરિસરમાં રાજ્ય સરકારના સ્વચ્છતા લક્ષી દિશા-નિર્દેશોને અનુસરીને એક વિશેષ અને સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ સ્વચ્છતા કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના ક્લબ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત સહયોગથી વિશાળ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તંબાકુવાળા, એસ.ટી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના હોદ્દેદારો, સભ્યો અને એસ.ટી. વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બસ સ્ટેન્ડ પરિસરના ખૂણે-ખૂણાની સફાઈ કરી કચરાનો નિકાલ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન એસ.ટી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, સરકારના સ્વચ્છતા અભિયાનની વિભાવનાને સાર્થક કરવા માટે હવેથી દર રવિવારે વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આવા સફાઈ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવશે.
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે આપણને આપણું ઘર સ્વચ્છ ગમે છે, તે જ રીતે સાર્વજનિક મિલકતો અને બસ સ્ટેન્ડ પરિસરને પણ સ્વચ્છ રાખવું એ સૌની નૈતિક ફરજ છે. બસ સ્ટેન્ડ ખાતે આવતા દૈનિક મુસાફરો માટે દરેક બસ અને પરિસરમાં પૂરતા પ્રમાણમાં ડસ્ટબિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સંસ્થાઓ અને તંત્ર દ્વારા તમામ મુસાફરોને બસ સ્ટેન્ડ કે વાહનોમાં ગમે ત્યાં કચરો ન ફેંકતા માત્ર ડસ્ટબિનનો જ ઉપયોગ કરવા અને પરિસરને સુઘડ રાખવામાં પૂરતો સહયોગ આપવા આગ્રહભરી અપીલ કરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com