અંકલેશ્વરના કોસમડી નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન આગ ફાટી નીકળતાં ભારે ચકચાર મચી ગઈ છે. સિનેમાઘરના સ્ક્રીન નંબર-૩ માં અચાનક ભભૂકેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે હોલમાં ફિલ્મ જોઈ રહેલા પ્રેક્ષકોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક આગની લપેટમાં આવી જતાં સ્ક્રીન નંબર-૩ નો સમગ્ર હિસ્સો અને અંદરનું રાચરચીલું બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું. ઘટના દરમિયાન બે લોકો સિનેમા હોલની અંદર ફસાઈ જતાં અફરાતફરી વધી ગઈ હતી, જોકે તંત્ર દ્વારા તાત્કાલિક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બંને વ્યક્તિઓને સહીસલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત ધોરણે થિયેટરનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ૩ ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર દોડી આવી હતી અને આશરે બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળે ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાફલા સાથે પહોંચી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ચાલુ થિયેટરમાં આટલી ગંભીર આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ કે સુરક્ષાના સાધનોની બેદરકારી જવાબદાર છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com