ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ભરૂચ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેલ અને સુધારાત્મક વહીવટ તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં રક્ષાબંધનની લાગણી સાથે ‘નશામુક્ત ભારત અભિયાન’નો સંદેશ પણ બંદિવાનો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. રક્ષાબંધન નિમિત્તે બ્રહ્માકુમારી બહેનોએ બંદિવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને મોઢું મીઠું કરાવી ભાઈચારાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બંદિવાનોના સ્વસ્થ જીવન, સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વ્યસનના શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુષ્પરિણામો અંગે બંદિવાનોને સમજ આપવામાં આવી હતી. તમાકુ, ગુટખા, બીડી-સિગારેટ, દારૂ સહિતના વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને શિસ્તબદ્ધ જીવન અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. બંદિવાનોએ પણ વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. આ સાથે રાજયોગ ધ્યાન, આત્મચિંતન અને સકારાત્મક વિચારસરણી અંગે માર્ગદર્શન આપી મનને શાંત રાખવા અને નકારાત્મકતાથી બહાર આવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જીવનમાં ભૂતકાળને પાછળ છોડી સારા વિચારો સાથે નવી શરૂઆત કરવાની પ્રેરણા પણ આપવામાં આવી. જેલમાંથી બહાર આવ્યા બાદ પરિવાર અને સમાજમાં જવાબદાર તથા સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થવા માટે બંદિવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રક્ષાબંધનની પવિત્ર લાગણી સાથે માનવતા, ભાઈચારો, આત્મપરિવર્તન અને વ્યસનમુક્ત જીવનનો સંદેશ આપતો આ કાર્યક્રમ બંદિવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com