સરકારી યોજનાઓ, બેંકિંગ સુવિધાઓ, નોકરીઓ અને શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચૂકેલા આધાર કાર્ડમાં વિગતો સુધારવા અંગે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા કડક મર્યાદાઓ (Limit) જાહેર કરવામાં આવી છે. જો આધાર કાર્ડમાં દર્શાવેલી વિગતોમાં કોઈ ભૂલ રહી જાય તો નાગરિકોના અગત્યના કામકાજ અટકી શકે છે. જોકે, આ સુધારા મનફાવે તેમ વારંવાર કરી શકાશે નહીં. UIDAI ની નવી માર્ગદર્શિકા મુજબ, આધાર કાર્ડમાં નામમાં જીવનમાં માત્ર ૨ વાર જ સુધારો કરવાની પરવાનગી આપવામાં આવશે. જો વિશેષ કે અસાધારણ પરિસ્થિતિમાં બીજી વારથી વધુ ફેરફાર કરવાની જરૂર પડે, તો તેના માટે કાનૂની દસ્તાવેજો અને યોગ્ય આધારભૂત પુરાવાઓ રજૂ કરવા ફરજિયાત રહેશે.

અન્ય વિગતો અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે, આધારમાં જન્મતારીખ અને લિંગ (Gender) માં સુધારો કરવા માટે જીવનમાં માત્ર ૧ જ વાર તક આપવામાં આવશે, જેથી કોઈ અસામાજિક કે ભ્રષ્ટ તત્વો ઓળખનો દુરુપયોગ કરી ન શકે. જોકે, સરનામું અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલવા માટે કોઈ કડક મર્યાદા રાખવામાં આવી નથી; યોગ્ય પ્રમાણપત્ર આધારિત તેને ગમે તેટલી વાર અપડેટ કરાવી શકાશે. સરનામું બદલવા માટે નાગરિકો myAadhaar પોર્ટલ દ્વારા ઘરબેઠા ઓનલાઇન અરજી કરી શકે છે, પરંતુ બાયોમેટ્રિક ચકાસણીની જરૂર હોય તેવા તમામ સુધારા (જેમ કે નામ, મોબાઇલ નંબર, જન્મતારીખ કે લિંગ) માટે નજીકના આધાર સેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવી ફરજિયાત રહેશે. તંત્રે તાકીદ કરી છે કે કેન્દ્રો પરની ભીડથી બચવા નાગરિકોએ અગાઉથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરાવી લેવી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com