આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતર મુદ્દે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો હતો.મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે આમોદ મામલતદાર ડૉ.મયુર વરીયાને આવેદનપત્ર આપી માર્કેટ રેટ કમિટી (MRC) બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો.તેમજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો પણ ઉગ્ર વિરોધ કર્યો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ,તા.૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી.ખેડૂતોનું કહેવું છે કે તેમના ઉપર અંગ્રેજોના સમયનો વર્ષ ૧૮૮૫ નો જૂના કાયદો લાગુ કરવામાં આવ્યો છે.પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી ૭૬૫ કે.વી.ની અત્યંત ઊંચા વોલ્ટેજની વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, જે ખેડૂતો માટે જોખમી બની શકે છે. તેમ છતાં સરકારના પરિપત્રમાં વીમાકવચનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાં પાવરગ્રીડનો પ્રોજેક્ટ કોમર્શિયલ હોવા છતાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ‘કોમર્શિયલ’ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.જેના કારણે ખેડૂતોને મળનારા વળતર અંગે પણ અન્યાય થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
આ મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ ઊર્જામંત્રી, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી.જેથી ખેડૂતો દ્વારા આમોદ મામલતદાર ડૉ.મયુર વરીયાને આવેદનપત્ર આપી સરકારના પરિપત્રનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પાવરગ્રીડના અસરગ્રસ્ત ખેડૂતો માટે માર્કેટ રેટ કમિટી (MRC) બનાવવાની પ્રક્રિયા સામે પણ સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023