દશભરમાં આગામી સપ્તાહ દરમિયાન નાણાકીય વ્યવહારો માટે બેંક શાખાની મુલાકાત લેતા ગ્રાહકોએ ખાસ સાવચેતી રાખવી પડશે. તારીખ 24 થી 30 ઓગસ્ટ 2026 વચ્ચે વિવિધ રાજ્યોમાં ઈદ-એ-મિલાદ, ઓણમ અને રક્ષાબંધન જેવા મુખ્ય ધાર્મિક તથા સાંસ્કૃતિક તહેવારોને કારણે અલગ-અલગ દિવસે બેંકોમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રજાઓના કેલેન્ડર અનુસાર, આ સપ્તાહમાં કુલ 4 દિવસ શાખાઓમાં કોઈ ભૌતિક કામકાજ થઈ શકશે નહીં. જોકે, 29 ઓગસ્ટે મહિનાનો પાંચમો શનિવાર આવતો હોવાથી તે દિવસે તમામ શાખાઓ નિયમિતપણે ખુલ્લી રહેશે. રજાઓની વિગતવાર સ્થિતિ પર નજર કરીએ તો, 25 ઓગસ્ટ (મંગળવાર)ના રોજ કેરળ અને આંધ્રપ્રદેશમાં મિલાદ-ઉન-નબી તથા ઓણમના પર્વ નિમિત્તે બેંકો બંધ રહેશે. ત્યારબાદ 26 ઓગસ્ટ (બુધવાર)ના દિવસે ઈદ-એ-મિલાદ (બારાવફાત) અને તિરુઓણમ જેવા તહેવારોને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ, દિલ્હી, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડમાં કામકાજ ઠપ્પ રહેશે. 28 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ અને હિમાચલ પ્રદેશમાં શાખાઓ બંધ રાખવામાં આવશે, જ્યારે 30 ઓગસ્ટે સાપ્તાહિક રવિવારની રજા રહેશે.
બેંક શાખાઓના દરવાજા બંધ રહેવા છતાં, ગ્રાહકોના દૈનિક નાણાકીય વ્યવહારો અટકશે નહીં. બેંકિંગ ક્ષેત્રે ઉપલબ્ધ ડિજિટલ સેવાઓ જેવી કે નેટ બેંકિંગ, મોબાઈલ એપ, UPI ચુકવણીઓ અને ATM સુવિધાઓ સમગ્ર સપ્તાહ દરમિયાન 24 કલાક અવિરતપણે કાર્યરત રહેશે. આથી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ શાખા સંબંધિત મહત્વના કામકાજ સમયસર પૂર્ણ કરી લે અથવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com