ઇસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં ઈદે મિલાદની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ સાથે એકતા, ભાઈચારો અને કોમી સૌહાર્દના સુંદર દૃશ્યો જોવા મળ્યા હતા.
ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરઆનખાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મદ્રેસાના કમ્પાઉન્ડમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ ઝુલુસમાં અબાલ-વૃદ્ધો, યુવાનો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ઝુલુસ દરમિયાન સમગ્ર નબીપુર ગામ ઈદે મિલાદના પર્વના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ધાર્મિક ભાવના સાથે લોકોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો હતો. ઝુલુસ પૂર્ણ થયા બાદ ગામની ભાગોળે સમસ્ત ગામ તરફથી નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ નિયાઝનો લ્હાવો માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને એકતાની ભાવના જોવા મળી હતી. નબીપુરમાં યોજાયેલી ઈદે મિલાદની આ ઉજવણી માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક જ નહીં, પરંતુ ગામની એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો પણ સુંદર સંદેશ આપતી બની રહી હતી.
સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com