નેપાળના રસૂવામાં તિબેટ સરહદ નજીક આવેલી ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક અને કાળમુખા પૂરે સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચાવી દીધી છે. કુદરતના આ કૌપમાં કેટલાય ગામો બોર્ડર પરથી સદંતર તણાઈ ગયા છે, જ્યારે ૧૩ જેટલા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, મુખ્ય પુલો અને અનેક વાહનો નદીના રાક્ષસી પ્રવાહમાં વહી ગયા છે. તાજા મળતા અહેવાલો મુજબ, આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં ૯૫ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે ૧૩૩ ભારતીય નાગરિકો, પ૨ અન્ય વિદેશી પ્રવાસીઓ અને ૧૩ નેપાળીઓ સહિત કુલ ૪૬૩ થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વિરાટ સ્વરૂપ ધારણ કરે તેવી ભયાનક આશંકા સેવાઈ રહી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળના પ્રવાસન બોર્ડે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો (૧૧૪૪ અને ૯૮૫૧૨૮૯૪૪૫) જારી કર્યા છે અને સેનાના ૧૫ હેલિકોપ્ટરો વડે યુદ્ધધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.
અચાનક આવેલા આ પ્રલયની સીધી અસર ભારતના બિહાર રાજ્ય પર પણ પડી છે. નેપાળમાંથી ધસી આવેલા પાણીના ભયાનક જથ્થાને કારણે બિહારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ગંડક નદીમાં ‘ફ્લેશ ફ્લડ’નું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલી જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. બીજી તરફ ભારત-નેપાળ સરહદ પર સશસ્ત્ર સીમા બલ (SSB) એ ૧૧ રેસ્ક્યુ એન્ડ રિલીફ ટીમોને તાત્કાલિક મેદાનમાં ઉતારી દીધી છે અને વધારાની ૭ ટીમોને સ્ટેન્ડબાય રાખીને નીચાણવાળા વિસ્તારો અને તટબંધો પર સતત સઘન નજર રાખવામાં આવી રહી છે.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com