આમોદ-જંબુસર વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે આખરે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને ખેતીના કામકાજ અને સિંચાઈ માટે પડતી વીજળીની સમસ્યાને લઈને ધારાસભ્ય દેવ કિશોર સ્વામી દ્વારા ઊર્જા મંત્રી સમક્ષ ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યની રજૂઆતને પગલે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ તા. ૦૩ સપ્ટેમ્બરથી આમોદ અને જંબુસર તાલુકાના તમામ એગ્રીકલ્ચર ફીડરો પર દિવસ દરમિયાન ૧૦ કલાક થ્રી-ફેઝ વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડૂતોને સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી સતત વીજળી મળવાથી સિંચાઈ સહિતના ખેતીના વિવિધ કામોમાં મોટી રાહત મળશે. અત્યાર સુધી ખેડૂતોને ઘણી વખત સિંચાઈ માટે રાત્રિના સમયે વીજળીની રાહ જોવી પડતી હતી, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
હવે દિવસ દરમિયાન જ ૧૦ કલાક પૂરતો થ્રી-ફેઝ વીજ પુરવઠો મળતા રાત્રિના સમયે ખેતરમાં જઈ સિંચાઈ કરવાની મજબૂરીમાં ઘટાડો થશે અને ખેતીના કામકાજનું આયોજન પણ વધુ સરળ બનશે. ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાને લઈ તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને આમોદ–જંબુસર વિસ્તારના ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને ખેતી અને સિંચાઈ માટે વીજળી અત્યંત મહત્વની બની રહેતી હોવાથી દિવસના ૧૦ કલાક સતત વીજ પુરવઠો ખેડૂતો માટે મોટી ભેટ સમાન સાબિત થશે. ધારાસભ્ય દેવ કિશોર સ્વામીની રજૂઆત બાદ મળેલી આ રાહતથી આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોના પ્રશ્નને પ્રાથમિકતા આપી રજૂઆત કરવામાં આવતા અને તેના પગલે નિર્ણય લેવાતા હવે ખેડૂતોને ખેતીના મોસમમાં વીજળીની સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023