ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં કુલ બે બેઠકો માટે મતદાન થવાનું છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પંડવાઈ સુગરના કુલ 16 ઝોનમાંથી કદરામા ઝોન અને અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક એમ બે બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. બંને બેઠકો માટે કુલ ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાન પ્રક્રિયા પંડવાઈ સ્થિત પાંડુકેશ્વર વિદ્યાલય ખાતે યોજાશે, જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં એક મહત્વની બાબત એ છે કે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો 14 ઝોનમાં બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. જેના કારણે હવે બાકી રહેલી બે બેઠકોનું પરિણામ ખાસ મહત્વનું બની ગયું છે અને સૌની નજર આ બેઠકોના ચૂંટણી પરિણામ પર મંડાઈ છે.
ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પણ વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રના આશરે 70 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી સહિત 50થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે. બંને બેઠકો માટે આશરે 6,500 મતદારો મતદાન કરશે, ત્યારે મતદાન મથક પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આવતીકાલના મતદાન બાદ કોના પક્ષે મતદારોનો કૌલ પડે છે તેના પર સૌની નજર રહેશે. ચૂંટણી બાદ 6 સપ્ટેમ્બર, રવિવારના રોજ હાંસોટ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાશે. મતગણતરીના દિવસે બંને બેઠકોના પરિણામ સાથે પંડવાઈ સુગરની વ્યવસ્થાપક સમિતિમાં કોનું વર્ચસ્વ રહેશે તે પણ સ્પષ્ટ થઈ જશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com