આમોદ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના જાગૃત અને વરિષ્ઠ આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે તાલુકાભરમાં વિવિધ રચનાત્મક, સામાજિક અને સેવાકીય પ્રકલ્પો હાથ ધરવા અંગે વિગતવાર રોડમેપ તૈયાર કરાયો હતો. બેઠક દરમિયાન ૧૭ સપ્ટેમ્બરે દરેક ઘરમાં ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી શુભકામનાઓ પાઠવવી, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવું, સ્થાનિક આંગણવાડીના બાળકો વચ્ચે પૌષ્ટિક ફળ વિતરણ કરવું તેમજ ગ્રામીણ અને શહેરી સ્તરે રંગોળી સ્પર્ધા જેવા વિવિધ લોકભાગીદારીના કાર્યક્રમો યોજી જન-જન સુધી સેવાકીય સંદેશ પહોંચાડવા માટે કાર્યકરોને તબક્કાવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, વિવિધ મોરચાના સંગઠન હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના ઉત્સાહી કાર્યકરો અને સમર્થકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023