આગામી ગણપતિ મહોત્સવ અને વિસર્જન પર્વ આમોદ નગરમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ, અવિઘ્ન અને ચુસ્ત સુરક્ષા વચ્ચે સંપન્ન થાય તે હેતુસર તાલુકા પંચાયત સભાખંડ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર કરમટિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમોદ નગરના ૩૧થી વધુ ગણેશ મંડળોના પ્રમુખો, કમિટીના સભ્યો તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજીદઅલી રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, સદસ્ય શકીલ કાપડિયા સહિત વીજ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચર્ચા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તમામ ગણેશ પંડાલો ખાતે સાંજના ૬ વાગ્યાથી રાત્રિના ૨ વાગ્યા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે. ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મૂર્તિઓની ઊંચાઈ અને ડી.જે. વાહનોની પહોળાઈ મર્યાદિત રાખવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ સંવેદનશીલ સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા કડક બાજ નજર રાખવાની વ્યુહરચના ઘડવામાં આવી છે.
સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પ્રશાસન દ્વારા વિસર્જન માર્ગો પરના જોખમી ખાડાઓ ત્વરિત પૂરવા, પૂરતી રોશની અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે નડતરરૂપ વીજ વાયરોને તાત્કાલિક ઊંચા કરવા વીજ કંપનીને આદેશ અપાયો છે. આ ઉપરાંત, વિસર્જન સ્થળ એવા આમોદના મોટા તળાવમાં મગરોના ગંભીર ઉપદ્રવને ધ્યાનમાં રાખી વન વિભાગને તાત્કાલિક અસરથી પાંજરા ગોઠવીને મગરોને પકડવાની સખત તાકીદ કરાઈ છે, તેમજ વિસર્જન ટાણે હાઇડ્રો ક્રેન અને કુશળ તરવૈયાઓની વિશેષ વ્યવસ્થા કરાશે તેમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તંત્રની આ સજાગતા અને સતર્કતાને વધાવતા ગણેશ મંડળના અગ્રણી જયમીન પ્રજાપતિ સહિત તમામ આયોજકોએ પ્રશાસનને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે, જેનાથી આ વર્ષનો ગણેશોત્સવ માત્ર ભક્તિભાવ અને ભાઈચારાના અદભુત માહોલમાં અવિસ્મરણીય બનશે તેવી દ્રઢ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023