વાગરા તાલુકાના પહાજ ગામે 12 સપ્ટેમ્બરની રાત્રે 9:45 કલાકે થયેલા વસીમ ઇકબાલ દિવાનના હત્યાકાંડમાં હવે પોલીસ તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. લોહિયાળ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી, પરંતુ ત્યારથી વાગરા પોલીસે તપાસની ગતિ એક ક્ષણ માટે પણ ધીમી પડવા દીધી નથી. હવે પુરાવાઓની એક પછી એક કડી જોડાતી જતાં આરોપી સામેનો કાયદાનો સકંજો વધુ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. ઘટના બાદ શરૂઆતમાં પોલીસે BNS કલમ 109(1) તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે 13 સપ્ટેમ્બરની વહેલી સવારે 2:29 કલાકે વસીમ દિવાનનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થતાં કેસે ગંભીર વળાંક લીધો અને પોલીસે તરત જ BNS કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો ઉમેરી તપાસને વધુ તીવ્ર બનાવી હતી. પોલીસે 13 સપ્ટેમ્બરના રોજ બપોરે લગભગ 3 વાગ્યે મુખ્ય આરોપીને ઝડપી પાડીને કાયદાના સકંજામાં લીધો હતો. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે આરોપીને સાથે રાખીને પહાજ ગામમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જ્યાં આરોપી પાસેથી હુમલાની સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ જ દિવસે બપોરે 3 વાગ્યાની આસપાસ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
તપાસને વધુ ઊંડાણ સુધી લઈ જવા પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આરોપીના રિમાન્ડ 16 સપ્ટેમ્બરે બપોરે 11 વાગ્યા સુધી મંજૂર કર્યા છે. હાલ આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. 15 સપ્ટેમ્બરે પોલીસે તપાસમાં વધુ મહત્વની સફળતા મેળવી છે. ગુના સમયે આરોપીએ પહેરેલા કપડાં તથા હત્યામાં ઉપયોગ થયાની શંકા હેઠળ બુલેટ મોટરસાઇકલ નંબર GJ-16-CJ-9192 કબજે લેવામાં આવી છે. આ તમામ વસ્તુઓને હવે ફોરેન્સિક અને અન્ય વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેથી પુરાવાઓ વધુ મજબૂત બની શકે. પહાજ હત્યાકાંડ હવે માત્ર ધરપકડ સુધી સીમિત નથી. પોલીસ દરેક પુરાવા, દરેક કડી અને દરેક સંભવિત સંડોવણીની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સમગ્ર પંથકની નજર હવે પોલીસની આગામી કાર્યવાહી પર છે, કારણ કે લોકોની અપેક્ષા સ્પષ્ટ છે, કે આ કેસમાં કોઈ પણ દોષિત બચવો ન જોઈએ અને સત્ય સંપૂર્ણપણે બહાર આવવું જોઈએ.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com