આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો. ગામના ગણેશજી યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના બાદ ધાર્મિક વાતાવરણ વચ્ચે આરતી અને મહાપ્રસાદ રૂપે થાળનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. ભક્તોએ શ્રદ્ધાભાવ સાથે ગણેશજીના દર્શન કરી આરતીમાં ભાગ લીધો અને પરિવાર, ગામ તેમજ સમાજમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આરતી દરમિયાન ઘંટનાદ અને જય ગણેશ દેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભીમપુરા ગામનું ગણેશજી યુવક મંડળ છેલ્લા સાત વર્ષથી સતત ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. દર વર્ષે મંડળના યુવાનો પોતાના સહયોગ અને સ્વખર્ચે ગણેશજીની સ્થાપના, પંડાલ અને અન્ય તમામ વ્યવસ્થાઓ સંભાળે છે. આ આયોજનને સફળ બનાવવા રાહુલ વસાવા, સની વસાવા, ઘનશ્યામ રાઠોડ, ચેતન વસાવા, મૈલેશ રાઠોડ, વિશાલ રાઠોડ અને આશિષ વસાવા સહિતના યુવાનોએ મહત્વની જવાબદારી નિભાવી હતી. ભીમપુરાનો ગણેશ મહોત્સવ ગામની ધાર્મિક પરંપરા, એકતા અને યુવાનોની સામાજિક ભાગીદારીનું સુંદર પ્રતિબિંબ બની રહ્યો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023