આજના સમયમાં જ્યાં પૈસા અને સ્વાર્થને વધુ મહત્વ અપાતું હોય છે, ત્યાં જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય અને પક્ષના નેતા કલ્પેશકુમાર ગોહિલે ઈમાનદારી અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. તેમની આ કામગીરીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. મળતી માહિતી મુજબ, લીમજ ગામ નજીક ડાભા ગામના નગીનભાઈ રોહિતના પુત્રને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ગભરાટ વચ્ચે તેમની ગાડીમાં અંદાજે રૂ. 35 હજારની રોકડ રકમ અને પાકીટ રહી ગયા હતા. આવી સ્થિતિમાં કોઈની પણ અમાનત ખોવાઈ જવાની શક્યતા હતી.
પરંતુ આ રોકડ રકમ અને પાકીટ કલ્પેશકુમાર ગોહિલના ધ્યાન પર આવતા તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સમગ્ર રકમ અને અન્ય સામાન તેના મૂળ માલિક નગીનભાઈ રોહિતને સુરક્ષિત રીતે પરત સુપ્રત કર્યો. તેમની આ ઈમાનદારીભરી કામગીરીએ સૌના દિલ જીતી લીધા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઈમાનદારી અને માનવતા આજે પણ જીવંત છે. કલ્પેશકુમાર ગોહિલે માત્ર પૈસા પરત આપ્યા નથી, પરંતુ વિશ્વાસ, સંસ્કાર અને માનવતાની સાચી કિંમત પણ સમાજ સમક્ષ રજૂ કરી છે. આ કામગીરી બદલ નગીનભાઈ રોહિત સહિત સ્થાનિક લોકો દ્વારા કલ્પેશકુમાર ગોહિલની ખુલ્લા દિલે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે આવી ઈમાનદારી સમાજમાં વિશ્વાસ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com