ભરૂચ તાલુકાના પરીએજ ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં વરસાદ બાદ પાણીની આવક વધતા ફરી એકવાર વિશાળ અજગર જોવા મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. માછીમારો દ્વારા નાખવામાં આવેલા જાળમાં અંદાજે 8 ફૂટ લાંબો અજગર ફસાઈ જતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે સાવચેતી સાથે અજગરનું સફળ રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. સમયસર રેસ્ક્યુ થતાં અજગરનો પણ જીવ બચ્યો અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકી ગઈ.
ઉલ્લેખનીય છે કે માત્ર 14 સપ્ટેમ્બરે પણ આ જ ભૂખી ખાડીમાંથી અંદાજે 10 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. સતત થોડા દિવસોમાં બે વિશાળ અજગર મળવાની ઘટનાઓએ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. વરસાદી મોસમમાં ખાડી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ઝેરી તથા વિશાળ સાપો બહાર આવવાની શક્યતા વધી જાય છે. વન વિભાગ અને તંત્રએ આવા વિસ્તારોમાં સતર્કતા વધારી લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી બની છે, જ્યારે ગ્રામજનોએ પણ પાણી ભરાયેલા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com