નાચવા બાબતે પત્નીના ઠપકાથી લાગી આવતા શ્રમિકનો આપઘાત! વાગરા તાલુકાના વિલાયત સ્થિત L&T કોલોનીમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી બાદ એક કરૂણ ઘટના સામે આવી છે. માત્ર એક ઠપકાએ 26 વર્ષીય શ્રમિકનું જીવન છીનવી લેતાં સમગ્ર કોલોનીમાં શોક અને સન્નાટો છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૂળ છત્તીસગઢના કવર્ધા જિલ્લાના રહેવાસી અને હાલ વિલાયત L&T કોલોનીમાં મજૂરી કામ કરતો લેકુરામ દેરહારામ કૌશીક અન્ય શ્રમિકો સાથે વિશ્વકર્મા જયંતીની ઉજવણી દરમિયાન નાચી રહ્યો હતો. મોડી રાત્રે રૂમ પરત ફર્યા બાદ પત્નીએ મોડી રાત સુધી નાચવા બાબતે ઠપકો આપ્યો હતો. પોલીસના નોંધ અનુસાર, આ વાતથી મન દુભાતા લેકુરામ રૂમમાંથી નીકળી ગયો અને કોલોનીના પાછળના ભાગે આવેલા ઝાડ સાથે ગમછો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
વિલાયતમાં હચમચાવતી ઘટના: ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ મૃતકની પત્નીએ વાગરા પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે, ક્ષણિક લાગણી, મનદુઃખ કે આવેશ જીવનનો અંતિમ ઉકેલ બની શકતો નથી. મુશ્કેલી કે માનસિક તણાવની સ્થિતિમાં પરિવારજનો, મિત્રો અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે વાતચીત કરવી ખૂબજ જરૂરી છે
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com