આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી પાંચ દિવસમાં મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ૪ જુલાઈના રોજ વિપક્ષી સદસ્યએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે પાંચ દિવસની મુદત આપી ૪ જુલાઈએ આત્મવિલોપનનું એલાન.!!
આમોદ નગરપાલીકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી.જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી ૫.૫૦ લાખની આવક પ્રાપ્ત થઈ હતી.પરંતુ એજન્સી દ્વારા ૧૧ મે ૨૦૨૩ ના રોજ ૩.૬૦ લાખ જ ઓનલાઇન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા.જ્યારે બાકીની રકમ એ.એમ. કોલસાવાલા એજન્સીએ તત્કાલીન પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા ૧.૫૦ લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો હતો.પરંતુ પાલિકામાં હજુ સુધી દોઢ લાખ જમા નહી થતાં આમોદ નગરપાલીકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વીજીલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી.
જે બાદ આમોદ નગરપાલીકાના સેનેટરી ઇન્સ્પેકટર હિતેશ અસારીને ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો.જેથી સેનેટરી ઇન્સ્પેકટર હિતેશ અસારી દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણને કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી છે અને ભંગારના ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા આમોદ નગરપાલીકાના એકતા પેનલના અપક્ષ સદસ્ય મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન પાંચમા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ૪ જુલાઈના રોજ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર પોતાના સાથી નગરસેવકો ઇરફાન રાણા, રોહિત માછી, શકીલ કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાને આપ્યું હતું.
જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.તેમજ પાલિકા શાસકોમાં હડકંપ મચી જવા પામ્યો છે.
યાસીન દિવાન, આમોદ
આમોદ: પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલાંજ પોલીસે અટકાયત કરી