હાલ વરસાદની સિઝનમાં સમગ્ર રાજ્યના માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે. બિસ્માર માર્ગના કારણે અનેકવાર અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી બિસ્માર માર્ગના કારણે વધુ એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સ્કૂલ રીક્ષા પલટી મારી ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા. જેને લઈ 2થી 3 વિદ્યાર્થીઓ ઘવાયા હતા અને સ્કૂલ બેગો પાણીમાં પલળી ગઈ હતી.

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. જેના કારણે આજે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર શહેરના પીરામણ રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાંથી પસાર થઈ રહેલ સ્કૂલ રીક્ષા પલટી મારી ગઈ હતી. જેના કારણે સ્કૂલ રિક્ષામાં સવાર 2થી 3 વિદ્યાર્થીઓ ઘવાયા હતા. આ સાથે જ તેમના સ્કૂલ બેગ પણ પાણીમાં પલળી ગયા હતા. જો કે, બિસ્માર બનેલા માર્ગોનું અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા સમારકામ કરવામાં નહીં આવતા આવી દુર્ઘટનાઓ વારંવાર સર્જાતી રહે છે, ત્યારે હવે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વહેલી તકે બિસ્માર માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com