ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોઈ તેમ પ્રતીત થઈ રહ્યું છે.આશ્ચર્યની વાત તો એ છે કે આમોદ પોલીસ સ્ટેશનથી 500 મીટર નજીક જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ મામલે આમોદ પોલીસે વાયરલ વીડિયોના આધારે તમામ ઇસમોને શોધી કાઢવાની તપાસ હાથ ધરી છે.
કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર મારમારી કરી હતી..
આમોદ નગરમાં શ્રાવણના છેલ્લાં શનિવારે હઠીલા હનુમાનજીનો નાહીયેરમાં મેળો ભરાયો હતો.જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતાં. ત્યારે આમોદ નગરમાં પેટ્રોલ પંપના સામે અને 500 મીટર આમોદ પોલીસ સ્ટેશનથી નજીક જ 15 થી 20 અસામિજક તત્વોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર છુટા હાથથી મારામારી કરી હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે.બહાર ગામના લોકોએ આમોદ પોલીસ સ્ટેશન નજીક આતંક મચાવ્યો હતો.અને થોડીક જ વારમાં માર મારનાર ટોળું અને મારખાનારા લોકો પણ ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા.જોકે આ ટોળાનો મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
આ ઘટના અંગે આમોદ પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસ્વાર સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,ગતરોજ આમોદ નગરમાં મેળો ભરાયો હતો જેમાં આસપાસ હજારો લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા.જેથી પોલીસ પણ તેના બંદોબસ્તમાં વ્યસ્ત હતી.જ્યારે આ ઘટનાની ખબર પડી એટલે તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા.પરતું ત્યાં સુધી મારામારી કરનારા શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.આ ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે તેના પરથી તેઓને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.