સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાઈ હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા.
ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રાણ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં વાગરા પોલીસ મથકના પી.આઈ પણ ઉપસ્થિત રહી કાયદો અને વ્યવસ્થા જળવાઈ એ માટેના ઉપસ્થિત ઉદ્યોગકારોને જરૂરી સૂચનો કર્યા હતા.

વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમીકલ ઝોનમાં અનેક વિધ ઉદ્યોગો સ્થપાઈને કાર્યરત થયા છે. તો બીજી તરફ કેટલીયે કંપનીઓ આકાર લઈ રહી છે. આ બધા વચ્ચે સાયખાં કેમીકલ ઝોનમાં આવેલ કંપની સામે હજુ કેટલાયે પડકારો સામે છે. જેને કંપની સંચાલકો સામનો કરી રહ્યા છે. ગતરોજ અંકલેશ્વર ખાતે યોજાયેલ સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝને કનડતા પ્રશ્નો જેમ કે રોડ- રસ્તા ડ્રેનેજ લાઇન,ઇલેક્ટ્રીસીટી, CETP નો ચાર્જ અને પ્રદુષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાથે તેના નિવારણ માટે વહીવટી તંત્ર સાથે મળી કેવા પગલાં લીધા છે. અને આગામી સમયમાં વિશેષ શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝની મિટિંગમાં આસપાસના વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા તેમજ વિસ્તારના લોકોનું આરોગ્ય સચવાઈ તેમજ તેમને રોજગારી મળી રહે અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

વાગરા પી.આઈ એ ગુના ઉકેલવા માટે ઇન્ડસ્ટ્રીઝને જરૂરી સૂચનો કર્યા :- આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે એ માટે વાગરા પી.આઈ પ્રદીપસિંહ વાઘેલા ને મિટિંગમાં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી.આ તબક્કે પોલીસ ઇન્સ્પેકટરએ ઇન્ડસ્ટ્રીઝમાં બનતા ગુનાઓને અટકાવવા અને બનેલ ગુનાઓ નો ઝડપી ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ વચ્ચે સમન્વય સધાય તો ગુનાખોરીનું પ્રમાણ ઓછું થઈ શકે તેમ તેમણે જણાવ્યુ હતુ.

આયોજિત વાર્ષિક સામન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હરેશ ભુતા, ઉપ પ્રમુખ પ્રશાંત પટેલ, ઉપ પ્રમુખ સી.કે જીયાની, સેક્રેટરી જયેશ વિસાવાડીઆ, જોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝરર મીનકુ ગાંધી, કુંજ પટેલ, દુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com