લક્ઝરી બસમાં સવારમાં મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભુકી ઉઠી : દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર કુરચણ ગામ પાસે આજ રોજ સવારમાં સાડાચાર થી પાંચના સમયમા જોધપુરની પુણે જતી ખાનગી લકઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી.ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારનાં સમયમા મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે એન્જીન પાસે અચાનક આગ ભભુકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.અને અફળાતફળી મચી જવા પામી હતી.જો કે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલા લગભગ ૩૫ થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતાં.જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ડ્રાઇવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી પરંતુ લકઝરી બસ બળીને ખાખ થઈ ગઈ : ત્યાર બાદ લકઝરી બસમાં આગે વિકરાળ રૂપ લીધું હતું.લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઈટરને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.પરંતુ લકઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું જાણવા મળ્યુ છે.લક્ઝરી બસના ચાલકે સમયસૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતાં મોટી જાનહાનિ ટળી હતી.આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.જો કે આમોદ પોલીસ મથકે હજુ સુઘી કોઇ ફરિયાદ દાખલ થઈ નથી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com