ભરૂચ નર્મદા જિલ્લા રાજપુત સમાજ દ્વારા ગતરોજ વિજયાદસમીના પર્વ નિમિત્તે વાગરા ખાતે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિજયાદસમી (દશેરા) એટલે અસત્ય પર સત્યના વિજયનું પર્વ ગણાય છે. દશેરાના મહાપર્વ નિમિત્તે રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પુજનના કાર્યક્રમ યોજાતા હોય છે. તેના અનુસંધાને સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભરૂચ નર્મદા જિલ્લા દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા ખાતે જીનમાં શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સંગઠનના પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સહિત જિલ્લાના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,જેમાં ડો. પ્રવિણસિંહજી રાઉલજી, જિલ્લા પ્રમુખ પ્રવિણસિંહજી સિંધાના સાનિધ્યમા ઈમરાન બાપુ,મારુતિસિંહ અટોદરીયા, ઈન્દ્રસિંહ પરમાર, રણજીતસિંહ ડાભી,અમરસંગ રાજ, એન.સી.રાણા, કાસમ રાજ, કુલદીપસિંહ યાદવ, મહેન્દ્રસિંહ રાજ,સાજીદ બાપુ, સુધીરસિંહ અટોદરીયા, પ્રયાગરાજસિંહ વાસીયા સહિત મોટી સંખ્યામાં રાજપુત સમાજના અગ્રણીઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત ક્ષત્રિય રાજપૂત ભાઈઓએ પોતાની કુળદેવીને યાદ કરીને શસ્ત્ર પૂજન કર્યું હતું, અને આવનારા સમયમાં આપણા પૂર્વજોની વિરોચિત ઐતિહાસિક રાજપુતી પરંપરા અને સંસ્કારના મૂલ્યોનું જતન કરીને તેને ભાવિ સમાજ સમક્ષ રજુ કરીને આપણા પ્રાચિન વારસાની જાળવણી માટે કટિબધ્ધતા અપનાવાશે એમ જણાવાયું હતું.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com