Geo Gujarat News

ભરૂચ: જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન-અમલવારીની સમીક્ષા અર્થે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ

ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિમજૂથોના વિકાસ માટે “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન PM-JANMAN અને DA-JGUA (ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન) કાર્યક્રમ જાહેર કર્યો છે. આ અભિયાન અંતર્ગત તા.૧૫/૧૧/૨૦૨૪ના રોજ નેત્રંગના સ્વામી નારાયણ હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. તેના આયોજન- અમલવારી સંદર્ભે જીલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

પીએમ જન-મન અને DA-JGUA અભિયાન અંતર્ગત સ્વામી નારાયણ મંદિર નેત્રંગ ખાતે કાર્યક્રમ યોજાશે :  ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં તમામ વિભાગોનો સંપૂર્ણ સહયોગ-સહકારથી કામગીરી કરવા અને સંયુક્ત રીતે સુચારૂ આયોજિત કરવા અંગે સૌ અધિકારીશ્રીઓને સોંપાયેલી કામગીરી સુપેરે પાર પાડવા માર્ગદર્શન પુરૂં પડાયું હતું. વધુમાં તા. ૧૫-૧૧-૨૦૨૪ થી તા. ૨૬-૧૧-૨૦૨૪ સુધી સંબંધિત અમલીકરણશ્રીઓએ કેમ્પનું આયોજન કરીને સેચ્યુરેશન લાવવાનું રહેશે. તેમ અઘ્યક્ષ સ્થાનેથી સૂચનો આપ્યાં હતાં. પીએમ જન-મન અભિયાન કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ પર લાવવા લઇ-જવાની વ્યવસ્થા, સ્ટેજ પરથી લાભ મેળવનાર લાભાર્થીની અલાયદી વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે ઊભા કરવામાં આવનાર વિવિધ સ્ટોલની કામગીરી, ટ્રાફિક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે એલઈડી સ્ક્રીન તેમજ વીજ પુરવઠો અવિરત ચાલુ રહે, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, તબીબી વ્યવસ્થાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા જાળવણી સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું આયોજન અને તેની અમલીકરણ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના દિવસે વિવિધ વિભાગોના આદિમ જૂથના લાભાર્થીઓને યોજનાકીય લાભો પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, PM-JANMAN અને જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિમજૂથોના ઉત્થાન માટે જરૂરી એવી સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળે, આ વિસ્તારોમાં પાયાની સુવિધા મળી રહે તે સુનિશ્રિત કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારના વિવિધ ૧૭ જેટલા મંત્રાલયો સાથે સંકલન કરી અભિયાન મારફત ઝુંબેશ રૂપે વિકાસનાં લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન. આર. ધાંધલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી કે.વી ગામીત,જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, નેત્રંગના તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *