લુંટના ઇરાદે બે આરોપીઓએ હત્યા કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ : અંકલેશ્વર તાલુકાના સામોર થી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુમાં આશરે છ મહીના અગાઉ ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું લૂંટના ઇરાદે થયેલ ખૂનના બે આરોપીઓની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ગત તા.૧૪ એપ્રિલના રોજ અંદાડા સામોર થી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ કોઇ અજાણ્યા ઇસમે રાજેશકુમાર ભીખાભાઇ સિંધાને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઇ બોથડ પદાર્થ મારી જીવલેણ ઇજા પહોંચાડી હત્યા કરી હતી.જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ થઇ હતી.ભરૂચ એલસીબી પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યુ હતુ કે “આ ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશસીંગ સતપાલસીંગ સીંગ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઇ ગોપાલભાઇ તડવી સંડોવાયેલ છે” જેના આધારે ઉજ્જૈન ખાતેથી જગદીશસીંગ સતપાલસીંગ સીંગ તથા વડોદરા ખાતેથી લાલુભાઇ ગોપાલભાઇ તડવીની ધડપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં પકડાયેલ આરોપીઓ કબુલ્યુ હતુ કે તેઓ એકબીજાને ઓળખતા હોય તેઓને પૈસાની જરૂર હોય આજથી આશરે છ મહીના પહેલા તેઓ બપોરના આશરે ત્રણેક વાગે ગડખોલ પાટીયા તરફ ફરતા હતા દરમ્યાન અયપ્પા મંદીર સામે કેનાલ તરફ મૃતક રાજેશકુમાર ભીખાભાઇ સિંધા દારૂ પીને પડેલ હોય અને તેની પાસે બાઇક તથા મોબાઇલ હોય જેથી બન્ને આરોપીઓએ તે લૂંટી લેવાના ઇરાદે મરણ જનારને વધુ દારૂ પીવડાવાનો પ્લાન બનાવી મરણ જનારને બાઇક પર બેસાડી આગળ લઇ જઇ વધુ દારૂ પીવડાવી તેની પાસેનો બાઇક તથા મોબાઇલ પડાવી લેવા પ્રયત્ન કરતા મરણ જનારે સામે પ્રતિકાર કરતા તે બંનેએ મરણ જનારને માથાના ભાગે તથા છાતીના ભાગે લાતો મારી નીચે પાડી મોત નીપજાવી તેનો મોબાઇલ તથા બાઇક લઇને ભાગી ગયા હતા અને પકડાઇ ના જવાય તે હેતુથી બાઇકની નંબર પ્લેટ તથા મોબાઈલમા રહેલ સીમ કાર્ડ કાઢી ફેંકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે જેની હત્યા થઇ હતી તે રાજેશકુમાર ભીખાભાઇ સિંધા ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com