ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા શુકલતીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે. બનાવની વિગતો અનુસાર આ મામલામાં ફરિયાદીએ શુકલતીર્થ ગ્રામ પંચાયતમાંથી વારસાઈની કામગીરી કરાવવાની હતી. આ કામગીરી બાબતે ફરિયાદીએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ નટવર પટેલને તમામ કાગળો પણ આપી દીધા હતા.જોકે તલાટી દ્વારા વારસાઈની કામગીરી કરવામાં આવી ન હતી અને છેલ્લા એક વર્ષથી ફરિયાદીને ધક્કા ખવડાવવામાં આવતા હતા. આ બાદ તલાટી કમ મંત્રીએ વારસાઈની કામગીરી પેટે રૂ.8,000ની લાંચની માંગણી કરી હતી અને આ કામગીરી માટે ગ્રામ પંચાયતના વી.સી.ઇ. રવિરાજસિંહ ઉર્ફે કેનીલભાઈને મળી લેજો તેમ જણાવ્યું હતું. આ અંગે ફરિયાદીએ લાંચ-રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા ભરૂચ એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને આજરોજ રૂ.8,000ની લાંચ લેતા શુકલતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ, વી.સી.ઇ. રવિરાજસિંહ ઉર્ફે કેનિલ પરમાર અને ખાનગી વ્યક્તિ ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ACBના PI એમ.જે. શિંદેના નેતૃત્વમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીઓએ એકબીજાની મદદથી લાંચની રકમ સ્વીકારી હતી. ત્રણેય આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા. ACB દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એ.સી.બી.ની કામગીરીના કારણે લંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com