Geo Gujarat News

વાગરા: સાયખા GIDC સ્થિત બોડલ કેમિકલ્સ લિમિટેડ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે સેમિનાર યોજાયો, સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન અપાયું

સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અર્થે બોડલ કેમિકલ કંપની ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા મા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વાગરા તાલુકાના ઔદ્યોગિક ઝોન સાયખાની બોડલ કેમિકલ કંપનીમા સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થકી સાયબર ગુનાઓ સામે જાગૃતિ કેળવાય તે સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામા સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત લોકોને જરૂરી માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું હતું.

આજના આ ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેળવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પણ હવે વધુ સજ્જ થયુ છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પેજ પર નવી માહિતી શૅર કરીને, લોકોને સતત સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. અને સમયાંતરે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જે અંતર્ગત વાગરાની સાયખા ઔદ્યોગિક વસાહતમાં પણ આજરોજ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયખા જીઆઇડીસી સ્થિત બોડલ કેમિકલ્સ લિમિટેડ ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમા ઉપસ્થીત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

આ તબક્કે સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રશાંત પટેલ દ્વારા મહેમાનોને ઉષ્માભેર આવકાર અને સ્વાગત પ્રવચન કર્યા બાદ સાયબર સંબંધિત ગુનાઓની પ્રાથમિક માહિતી પર પ્રકાશ પાથર્યો હતો. ભરૂચ સાયબર ક્રાઈમના પી.આઈ બારડે સાયબર અપરાધ શુ છે?,તે કેવી રીતે આચરવામાં આવે છે?, તેનાથી બચવાના ઉપાયો, રાખવાની સાવચેતી બાબતે દિશા નિર્દેશ કર્યો હતો. વધુમાં તેઓએ કહ્યું હતું કે, સાયબર ગુનેગારો મુખ્યત્વે ભોળા લોકોને નિશાન બનાવે છે. ભરૂચ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં હાલ એક સાયબર એક્સપર્ટની નિમણૂક કરવામાં આવી હોવાનું પણ પી.આઇ એ જણાવ્યું હતું.

વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી ફુલતારીયાનાઓએ સોશિયલ મીડિયા તેમજ નેટ બેન્કિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોએ રાખવાની સાવધાની બાબતે જરૂરી વિગતો આપી હતી. સાયબર ગુનો બને એટલે તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા વાગરા પોલીસ ઇન્સ્પેકટરે ખાસ તાકીદ કરી હતી. તેમણે ન્યૂડ વિડીઓ કોલનો શિકાર થયેલા લોકોએ સરમાવ્યા વિના ફરિયાદ કરવા આગળ આવવા પણ અપીલ કરી હતી.

ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગના મલકેશ ગોહિલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. સાથે જ તમામ લોકોના ડેટા બજારમાં વેચાતા હોવાની પણ વાત કરી હતી. અંગત ફોટાની પ્રાઇવેસી જાળવી રાખવાનો અનુરોધ કર્યો હતો. સાયબર ક્રાઇમના ગુના બનવા પાછળ જવાબદાર પરિબળોમાં પ્રથમ પરિબળ માણસની માનસિકતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

માણસમાં રહેલો ડર,લાલચ અને આળસ સાયબર અપરાધને વધુ પ્રોત્સાહન આપે છે. જ્યારે ટેક્નિકલ ભૂલ પણ સાયબર ગુનાઓ માટે જવાબદાર પરિબળ ગણાય છે. રેન્સવેર અથવા માલવેર હેકિંગ થકી પણ સાયબર ગુના આચરવામાં આવી રહયા છે. તેઓએ હાજર લોકોને જાગૃતિ અને સાવધાની માટે ટુ સ્ટેપ વેરિફિકેશન, દર ત્રણ મહિને પાસવર્ડ બદલવાનો આગ્રહ રાખવા પણ તાકીદ કરી હતી. સાયબર ક્રાઇમનો સહુથી વધુ શિકાર ભણેલા ગણેલા લોકો જ બને છે. ડીઝીટલ એરેસ્ટનો ફ્રોડ સારા-સારા લોકો સાથે બની રહ્યો છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વ્હેલ ફિશિંગ અંગે પણ લોકોને માહિતગાર કરાયા હતા. વધુમાં ઉપયોગી એપ્સ તેમજ વેબસાઈટ અંગે પણ જરૂરી માહિતી પૂરી પાડી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સાયબર ફ્રોડ અંગે સાવચેતી રાખવા સાથે-સાથે ટુ વ્હીલર ચલાવતા તમામ લોકોને હેલમેટ પહેરવા પણ ખાસ અપીલ કરી હતી. કંપની તેમજ કંપની બહાર કર્મચારીઓ હેલ્મેટ પહેરે એનું કમ્પનીના સંચાલકો ધ્યાન રાખે તેવી પણ તાકીદ કરી હતી. ઉદ્યોગોને સી.એન.આર અંતર્ગત પ્રોપર રીતે કેમિકલ વેસ્ટનો નીકાલ કરવા પણ એસ.પી એ સૂચના આપી હતી. સાયબર ક્રાઇમ સંદર્ભે લોકોને પડતી તકલીફોના નિવારણ માટે ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગ ભોગ બનનારની મદદ માટે તત્પર છે. તેમ એસ.પી એ જણાવ્યું હતું.

આ તબક્કે જંબુસર ડિવિઝનના ડી.વાય.એસ.પી ચૌધરી, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગકારો, કંપનીના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ, અને આસપાસના ગામના અગ્રણીઓ, મહિલાઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાયબર ફ્રોડથી આ રીતે બચો

  • કોઈપણ પ્રકારની લેવડ દેવડ પહેલા તે સંબંધિત અધિકારીઓ સાથે રૂબરૂ વાત કરો.
  • ફોન પર કૉઇને બેંક ડિટેલ, આધાર નંબર કે અન્ય કોઈ પર્સનલ માહિતી ન આપો.
  • કોઈપણ પ્રકારની ધમકીથી ડરી જવું નહીં. તેઓ આ ડરનો જ લાભ ઊઠાવતા હોય છે.
  • જો તમે ફ્રોડનો શિકાર થાવ તો 1930 નંબર ઉપર ફરિયાદ કરો અથવા તે વિશે પોલીસ કે સાયબર ક્રાઇમમાં જઈ તરતજ ફરિયાદ નોંધાવો.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *