Geo Gujarat News

ભરૂચ: નર્મદા નદીમાં આવેલ બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજુરી વગર ન પ્રવેશવા માટેનું જાહેરનામું બહાર પડાયું

ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા પામેલ છે. ભરૂચ જીલ્લા કક્ષાએ આવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જીલ્લા કક્ષાએ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલા રૂપે ઘનિષ્ટ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાંઓ લેવાઈ રહેલ છે. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલીયાબેટ ઉપર આવી રોકાણ કરે તેવી પુરતી શકયતા છે. અને તેઓ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિઓ કરતાં ઈસમો ને મળી નિર્જન ટાપુઓ ઉપર આશ્રય મેળવી હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શકયતાઓ નકારી શકાય નહીં. ત્રાસવાદી જુથો/સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાંગફોડ કરવી, હિંસા કરી ભાંગફોડ કરવી, હિંસા અને ત્રાસ ફેલાવવાની શકયતાને ધ્યાને લઈ જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલા લેવા જરૂરી જણાય છે.

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં સરફુદીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ નદીમાં ચોમાસાની સીઝન પછી પાણી ઓછું હોવાના કારણે ઉપસી આવેલાં છે. આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલ નથી. જયારે દરીયા કિનારે આવેલ આલીયાબેટમાં લોકોની વસ્તી આવેલ છે. જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે. આ ટાપુ કાયમી ટાપુ છે.જે હાઈ ટાઈડ તેમજ નદીમાં પુર વખતે પણ ડુબતો નથી.આલીયાબેટ, સુરફુદીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેગણી બેટ પર અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજુરી વગર કોઈપણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈપણ વ્યકિતને ટાપુ પર પ્રવેશ કરતા રોકી શકાય તેમજ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યકિત ઉપર કાનુની પગલાં લઈ શકાય અને જરૂરી વ્યવસ્થા કરી આવી પ્રવૃતિઓ ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત અને જીલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે.

આથી, ભરૂચ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાધલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂ એ આથી હુકમ કરે છે કે, ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજુરી વગર કોઈ પણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકશે નહી. સદરહું જાહેરનામાનો અમલ હુકમની તારીખથી દિન-૬૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *