Geo Gujarat News

અંકલેશ્વર: શ્રીજી વિલા સોસાયટીના રહીશો ગંદા પાણીમાં જીવવા મજબૂર, રહીશોએ આંદોલનની તૈયારી બતાવી

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતની હદમાં આવેલી શ્રીજી વિલા સોસાયટીના રહેવાસીઓ છેલ્લા બે વર્ષથી ડ્રેનેજ લાઇનના ગંદા પાણીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એપલ પ્લાઝા પાછળ આવેલી આ સોસાયટીમાં ડ્રેનેજનું ગંદું પાણી શેરીઓ અને રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, નાના બાળકોને શાળાએ જવા માટે આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આ ઉપરાંત, આવનજાવન કરતા વાહનોને પણ પાણીના કારણે લપસી પડવાનો ભય રહે છે, જેના કારણે અકસ્માત થવાનું જોખમ વધ્યું છે. સ્થાનિકોએ છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.


વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા, આજે શ્રીજી વિલાના સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ ઉપરાંત, તેમણે ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિરાકરણ ન આવતા આગામી સમયમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી છે.

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં ભરે છે. શું શ્રીજી વિલાના સ્થાનિકોને આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે કે પછી તેમની હાલત “જેસે થે” જ રહેશે તે સમય જ કહેશે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે જેથી તેઓ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં જીવન જીવી શકે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *