Geo Gujarat News

ભરૂચ: ઘરવિહોણા ગરીબો માટે મફત પ્લોટની માંગ સાથે પદયાત્રા થકી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું

આદિવાસી, દલિત, ઓબીસી અને અન્ય ગરીબ પરિવારોને મફત રહેણાંક પ્લોટ આપવાની માંગ સાથે એક વિશાળ પદયાત્રા કેલોદથી શરૂ થઈને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારનું ધ્યાન એવા પરિવારોની સમસ્યા તરફ દોરવાનો હતો, જેઓ વર્ષોથી ઘરવિહોણા છે. અથવા તો એક જ ઘરમાં અનેક પરિવારો સાથે રહેવા મજબૂર છે. આ પદયાત્રા સવારે 8 વાગ્યે કેલોદના ભુખી પુલ નજીકના મંદિરથી આશીર્વાદ લઈને શરૂ થઈ હતી. યાત્રામાં સામેલ લોકોએ દયાદરા, ત્રાલસા, ત્રાલસી, મહુધલા, કાસદ, ચાવજ, રહાડપોર અને નંદેલાવ બ્રિજ જેવા અનેક ગામો અને વિસ્તારોમાંથી પસાર થઈને બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. આ યાત્રામાં દરેક ધર્મ અને સમાજના ગરીબ પરિવારોના લોકો સ્વયંભૂ જોડાયા હતા.

આ યાત્રાનું નેતૃત્વ આદિવાસી યુવા આગેવાન વિકું વસાવા, સામાજિક આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ, દિવ્યેશ પરમાર અને શકીલ રાજ ઓરા જેવા અગ્રણીઓએ કર્યું હતું. કલેક્ટર કચેરીએ પહોંચીને તેમણે કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું. આ આવેદનપત્રમાં મુખ્યત્વે બે મહત્વની માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સરકારી જમીનનો સદુપયોગ: રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે પડેલી બિનઉપયોગી સરકારી જમીનનો ગરીબ પરિવારોને પ્લોટ ફાળવવા માટે ઉપયોગ કરવામાં આવે.

એક ઘરમાં અનેક પરિવાર: જે પરિવારો એક જ ઘરમાં 5 થી 6 સભ્યો સાથે રહેવા મજબૂર છે, તેમને અલગ પ્લોટ ફાળવીને તેમની રહેણાંકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

આ પદયાત્રાએ સમાજના સૌથી ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગની વેદનાને વાચા આપી છે. આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમની આ વાજબી માંગણીને ધ્યાનમાં લઈને ગરીબોને ઘરનું સપનું પૂરું કરવામાં મદદ કરશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *