ઢોરના આતંકથી નાગરિકો પરેશાન, પાલિકા તંત્ર મૌન, જવાબદારીમાંથી કોણ છટકી રહ્યું છે? : આમોદ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ ભયજનક રીતે વધી રહ્યો છે. મુખ્ય માર્ગો અને બજારોમાં ઢોરના અડીંગાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે, આમોદ પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. આ ઢોર ડબ્બામાં અત્યાર સુધી એક પણ ઢોર પકડાયું નથી, છતાં તેના રીપેરીંગ પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ પર અનેક સવાલો ઉભા થયા છે.
રખડતા ઢોરનો ત્રાસ યથાવત, છતાં પાલિકાએ ચાર લાખનું બિલ ચૂકવી દીધું, પ્રજાના પૈસાનું પાણી. : એક તરફ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ અને કિચન બનાવવા માટે સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં સિમેન્ટ-કોંક્રીટના મજબૂત બીમ અને કોલમનો ઉપયોગ થાય છે. બીજી તરફ, આમોદ પાલિકાએ ચાર લાખથી વધુના ખર્ચે જે ઢોર ડબ્બો બનાવ્યો છે, તેમાં માત્ર તળિયું, પ્લાસ્ટર અને પતરાંનો જ ઉપયોગ થયો છે. આટલી ઓછી ગુણવત્તાના કામ માટે આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી, તે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સત્તાપક્ષના જ સભ્યોના વિરોધ છતાં બિલ ચૂકવાયું, આમોદ પાલિકામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર! : પાલિકા પાસે ઢોર પકડવા માટે કોઈ નિષ્ણાત ટીમ કે જરૂરી સાધનો નથી. તો પછી ઢોર પકડ્યા વગરના ડબ્બા પાછળ આટલો ખર્ચ શા માટે કરવામાં આવ્યો? સૌથી આઘાતજનક બાબત એ છે, કે શાસક પક્ષ ભાજપના જ 12 સભ્યોએ આ ઢોર ડબ્બાના કામની ગુણવત્તા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી. છતાં આ વિરોધને અવગણીને બિલ ચૂકવી દેવામાં આવ્યું. આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે આ આખું કામ ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે.

પાલિકા પાસે ઢોર પકડવા ટીમ નથી, છતાં ઢોર ડબ્બાનું રિપેરિંગ, શું આ કામગીરી માત્ર દેખાવ પૂરતી છે? : આમોદ પાલિકા પ્રજાના પૈસાનો બેફામ દુરુપયોગ કરી રહી હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. નાગરિકોની સલામતી અને સુવિધાને બદલે, પાલિકા ખોટા ખર્ચા પાછળ લાખો રૂપિયા વેડફી રહી છે. જો ઢોર ડબ્બો બનાવવા અને રીપેરીંગ કરવાનો હેતુ ઢોરને પકડવાનો જ ન હોય, તો આ ખર્ચનો અર્થ શું છે? શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે, જેના કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાય? આમોદ પાલિકાની આ બેદરકારી અને બેજવાબદાર વહીવટ સામે નાગરિકોમાં રોષ ભભૂકી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે, શું આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે પછી પ્રજાના પૈસાનો આવી જ રીતે દુરુપયોગ થતો રહેશે?
રખડતા ઢોરોના કારણે વાહનચાલકોની સંપત્તિ પણ જોખમમાં : રખડતા ઢોરના ત્રાસથી માત્ર રાહદારીઓના જીવને જ નહીં, પરંતુ વાહનચાલકોની સંપત્તિને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે. અચાનક રસ્તા પર આવી જતા ઢોરના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે, જેના પરિણામે વાહનોને વ્યાપક નુકસાન થઈ શકે છે. પાલિકાની બેદરકારીને કારણે થતા આ અકસ્માતોનો ભોગ વાહનચાલકોને બનવું પડે છે અને તેમને આર્થિક નુકસાની વેઠવી પડે છે. લાખોના ખર્ચે બનેલો ઢોર ડબ્બો નકામો સાબિત થતાં, આ સમસ્યા વધુ વિકટ બની રહી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com