ગણેશ મહોત્સવના રંગે રંગાયેલા અંકલેશ્વરમાં આ વર્ષે અનેક યુવક મંડળોએ થીમ આધારિત શણગાર સાથે શ્રીજીની સ્થાપના કરી છે, પરંતુ જોશિયા ફળિયા યુવક મંડળે દેશભક્તિ અને ધર્મને અનોખી રીતે જોડીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીંના યુવક મંડળે આબેહૂબ લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવી છે, જેના પર આપણા રાષ્ટ્રધ્વજને લહેરાવતા ગણપતિ બાપ્પાની મનોહર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આ દૃશ્ય લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. સૈનિકોની શિસ્તબદ્ધ પરેડ, ભારતના વિવિધ રાજ્યોના પોશાકો અને સાંસ્કૃતિક રજૂઆતો સાથે દેશભક્તિના ગીતોનો સંગમ એક અનોખું વાતાવરણ સર્જી રહ્યો છે. આ ભવ્ય અને દેશપ્રેમથી ભરપૂર આયોજનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જોશિયા ફળિયા યુવક મંડળના આયોજકોએ જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય હેતુ ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનો સમન્વય સાધીને આ લોક ઉત્સવની ઉજવણી કરવાનો હતો.
આ પ્રયાસમાં તેમને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે અને તેઓ સફળ રહ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો છે. આ અનોખા આયોજનથી ભક્તિની સાથે સાથે રાષ્ટ્રભાવનાનો પણ પ્રચાર થઈ રહ્યો છે, જે વર્તમાન સમયમાં અત્યંત પ્રશંસનીય છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com