ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકના કારણે ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે અંકલેશ્વરના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 3.90 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 136.76 મીટરે પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યા બાદ તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો અને ગામલોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને, નદી ખેડતા માછીમારો અને નદીકાંઠે આવતા સહેલાણીઓને હાલ પૂરતું નદીમાં પ્રવેશ ન કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, તંત્રએ હાલ પૂર જેવી ગંભીર પરિસ્થિતિ નહીં હોવાનું જણાવ્યું છે. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે, તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ ચોમાસાની સીઝનમાં બીજી વખત નર્મદા નદી બે કાંઠે વહે તેવી શક્યતા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com