સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ચાવજ ખાતે સમાજની નવીન વાડી અને શૈક્ષણિક સંકુલનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વણકર સમાજ ટ્રસ્ટની રચના થયા બાદ, તેના ટ્રસ્ટીઓ દ્વારા સમાજ માટે એક વાડી બનાવવાનો વિચાર કરાયો હતો. આ માટે, દાન મેળવીને જમીન ખરીદવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. સ્વ. મગન કે. પરમારના અધ્યક્ષપણા હેઠળ જમીનની શોધખોળ શરૂ થઈ હતી. ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ એમ. પરમાર અને ભરૂચના ભામાશા ધનજીભાઈ પરમાર દ્વારા ચાવજ મુકામે ત્રણ પ્લોટનો સોદો કરી દસ્તાવેજ ટ્રસ્ટના નામે કરવામાં આવ્યો હતો. આ પ્લોટની બાકી રકમ ધનજીભાઈ પરમારે ચૂકવી હતી.
આ વાડીનો શિલાન્યાસ સંત સવૈયાનાથ ઝાંઝરકા ગાદીપતિ 1008 મહામંડલેશ્વર મહંત શંભૂનાથ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. વાડીના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વર્તમાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઝાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ વાઘેલા તરફથી મળેલ ગ્રાન્ટ અને દાતાઓના દાનથી પૂર્ણ થયું છે. આ વાડી અને શૈક્ષણિક સંકુલનું અનાવરણ ભરૂચના ભામાશા અને સામાજિક કાર્યકર માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના વરદ હસ્તે થયું હતું.
આ પ્રસંગે રાજેન્દ્રભાઈ સુતરિયા, કનુભાઈ પરમાર, નગીનભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, અને દીપકભાઈ પરમાર સહિત અનેક દાતાઓ અને લોકો હાજર રહ્યા હતા. આ વાડી સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com